સનેડો
ગુજરાતી બ્લોગ જગતની એક ઘટના: કવીલોક - 26 જુનથી 2 જુલાઇ.
હું મુઓ વીજ્ઞાનનો માણસ, તે પૃથક્કરણ અને પોસ્ટ મોર્ટમ કરવાનું હમ્મેશ મન થાય ! તો થયું કે લાવને, આનું ય કરું ! પણ એક જ દીવસનો સ્નેપ-શોટ હોં !
લ્યો તાણે હોંભળો મારી વાત..…
1 – જુલાઇ 2007 - સામસામી પ્રક્ષેપાસ્ત્રોની વર્ષા–
2 – જુલાઇ 2007 - ‘ચાલો આપણે સાથે હળીમળીને રહીએ’
કોણ હાર્યું અને કોણ જીત્યું એનાં મુલ્યાંકનો પણ થયાં ! એમાં અમારા જુ’કાકાએ મને અંગત ઇમેલમાં એક બહુ મહત્વની વાત કહી ( શ્રી. જુગલકીશોર વ્યાસનું અમારી પરીચય ટોળીમાં હુલામણું નામ છે, જુ’કાકા. જેમ મારું ‘દાદા’ છે તેમ ! )
શું કહ્યું જુ’કાકાએ ? ‘ આ તો ‘ક્ષમા’ની જીત થઇ.’ હવે માળી વીચીત્રતા તો એ કે, ક્ષમા એમના એક પત્રમંજુષાના પાત્રનું ય નામ છે પાછું ! ( વાંચો. )
અને મને આ મુલ્યાંકન ગમ્યું.
આપણને સૌ બ્લોગરોને વળગેલો મકરંદીય, ઇચ્છનીય રોગ – ‘ગમતાનો ગુલાલ’ કરવાનો — મને ય ખરો જ ને? એટલે એને તમારા બધાંની સાથે વહેંચું છું. આમાં કોઇ આપવડાઇ દેખાય તો ય પાછી ક્ષમા કરશો, એમ આગોતરું જણાવી દઉં છું!
હવે ક્ષમાથી હવામાન બદલાયું, પણ ક્ષમાની ગંગોત્રી/જનની કોણ, પ્રેમ જ ને ?!
આપણને બાપુ, સહેજમાં પ્રેમ થઇ જાય. એમાંય આ તો એક વરસનું સંવનન! એટલે આ ક્ષમાની પાછળ આપ સૌને માટે અનહદ પ્રેમે જ ક્ષમા માટે મને પ્રેર્યો; એવું કહું તો સાવ સાચ્ચી દીલની વાત …
હવે આપણ સૌ કવીતાના, સુગમ સંગીતના રસીયા જણ પણ ખરા. તો એની પાછળનો ય ભાવ તો પ્રેમ જ ને?
મારી જીંદગીમાં અનેક ઘટનાઓ ઘટી, પણ જ્યાં માનવતા વીજય પામી હોય, એક ડગલું આગળ ધપી હોય તો તે આ ‘પ્રેમ’ને કારણે છે, એવું હું સતત અનુભવતો આવ્યો છું. એટલે આ મારી સ્વાનુભવની પ્રતીતી છે કે, જ્યારે પ્રેમ જીતે છે ત્યારે આપણે એક નાનું શું ય ડગલું આગળ ચાલીએ છીએ. ( વાંચો : ‘ બની આઝાદ– ભાગ 6 ‘ )
તો હાલો ભાયુ ને બેન્યું ! આપણે આવાં ઘણાં બધાં ડગલાં હડફભેર હારે હાલી નાંખીએ. છાવણીઓના તંબુઓમાંથી બહાર આવીને મનભરીને નાચીએ અને સનેડો ગાઇએ -
સનેડો, સનેડો બ્લોગ જગતનો સનેડો.
સનેડો, સનેડો ભાવ જગતનો સનેડો.
સનેડો, સનેડો વીશ્વગુર્જરી, સનેડો.
સનેડો, સનેડો, એક માત્ર આ સનેડો.
( વાંચો : મારું એક કવીતડું –’સનેડો’ )
2 comments July 4, 2009
‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે.
24 જુલાઈ, 2007
આદરણીય સ્વ. રવિશંકર મહારાજને અર્પણ કરીને ‘ગદ્યસુર’ની શરુઆત કરી હતી.
( એ દીવસના પહેલા બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 - : - 2 -
આજે ‘ગદ્યસુર’નો પહેલો જન્મદીન છે. કેવળ કુતુહલ અને નીજાનંદ માટે શરુ કરેલી બ્લોગીંગ યાત્રા જે પગથીયે ઉભી છે, તે પગથીયું એ કુતુહલથી ઘણું દુર જઈ ચુક્યું છે. કુતુહલ- નીજાનંદ- ગમતાંનો ગુલાલ- પરીચય પ્રવૃત્તી- કવીતા- ગદ્યલેખન- સમાજને પ્રદાનની ભાવના…. આમ એક પછી એક મંજીલો કપાતી ગઈ છે.
આજે અમેરીકા વીશે એક લેખ પ્રસીધ્ધ કર્યો છે.
મેન્સફીલ્ડ આઈ.એસ.ડી. – ટ્રાન્સ્પોર્ટેશન; અમેરીકા
. અહીં, અમેરીકામાં જે કાંઈ આપણને શીખવા જેવું લાગ્યું છે, તે પીરસવાનો પ્રયત્ન આ શ્રેણીમાં હું કરું છું.
થોડી આંકડાકીય માહીતી આજની તારીખમાં ‘ ગદ્યસુર’ બાબત -
Blog Stats
Total views: 32,741
Busiest day: 453 — Friday, June 6, 2008
Views today: 234
Totals
Posts: 525
Comments: 1,350
Categories: 41
Tags: 54
અને થોડી માહીતી મારા અન્ય બ્લોગ બાબત
( વાચકોની સંખ્યા)
- ગુજરાતી સારસ્વત પરીચય -84,700
- ગુજરાતી પ્રતીભા પરીચય - 13,688
- ગુજરાતી મહાજન પરીચય - 2,119
- કાવ્યસુર - 35,445
- અંતરની વાણી – 24,137
અને બીજા મીત્રો સાથેના બ્લોગ
( વાચકોની સંખ્યા)
- કવિલોક - 39,452
- હાસ્ય દરબાર – 55,792
- બાળકોનો કલરવ - 16,868
- તુલસીદલ – 11,314
આ બધું આપ સૌના સહકાર અને ઉમળકાભર્યા પ્રતીભાવ વગર શક્ય ન જ બન્યું હોત.
આપ સૌનો ખુબ ખુબ આભાર.
3 comments July 23, 2008
ધર્મ અને વીજ્ઞાન
માણસના મનમાં કુદરતે મુકેલી વીચારશક્તીના પ્રતાપે, માણસે કેવળ પશુવ્રુત્તીમાંથી અનેરી પ્રગતી સાધી છે. આ પ્રગતીનાં બે મુળભુત પાસાં તે ધર્મ અને વીજ્ઞાન. આ વીચારશક્તીના કારણે જીવન સુખ અને સગવડથી ભરેલું બન્યું છે; અને સારાસારનો વીવેક પણ નીપજ્યો છે. પણ સાથે સાથે અનેક અનીષ્ટોને પણ તેણે જન્મ આપ્યો છે.
મારા મતે આમાંનું એક સૌથી પ્રધાન અનીષ્ટ છે – ધર્મ અને વીજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ. વીજ્ઞાને ધર્મ અને નીતીની ઘોર ઉપેક્ષા કરી છે. વીજ્ઞાનની મદદથી સર્જાયેલા સાધન અને સમ્પત્તીના કારણે માણસ ભોગવાદી બન્યો છે; કેવળ સ્વાર્થમાં જ રાચતો થયો છે.
તો સામે પક્ષે ધર્મે વીજ્ઞાનને હમ્મેશ પરમ તત્વથી વીમુખ માન્યું છે; અને તેને દબાવવા, કચડવા પ્રયત્નો કર્યા છે. સોક્રેટીસને ઝેર આપી મારી નાંખ્યો છે; બ્રુનોને જીવતો જલાવી દીધો છે. ગેલીલીયોને કેદમાં રીબાવી, તેની માન્યતાઓને બળાત્કારથી ઉલટાવવા મજબુર કર્યો છે. પોતાની ધાર્મીક માન્યતાઓ અન્ય પર ઠોકી બેસાડવા અનેક યુધ્ધો લડાયાં છે; રકતપાત થયો છે; સંસ્ક્રુતીઓ તારાજ થઈ ગઈ છે.
અને કરુણાજનક વાત તો એ છે કે, ધર્મ અને વીજ્ઞાન એક જ સત્યના બે પાસાં છે !
વીજ્ઞાન સત્યનું અવલોકન કરે છે, એ અવલોકનમાંથી તર્ક અને પ્રયોગોના સહારે નવી શોધખોળો કરે છે અને નવાં સાધનો, શાસ્ત્રો, વીચારધારાઓને જન્મ આપે છે. ધર્મ સત્યની સર્વોપરીતાની ભક્તી કરે છે અને ભાવ અને શ્રધ્ધાના સહારે અંતરની વાણીને ઉજાગર કરે છે; સજીવની અંદર રહેલા જીવંત તત્વ સાથે ગોઠડી સાધે છે.
અને આવી જ કો’ક અંતરની વાણી કો’ક ન્યુટનને ગુરુત્વાકર્ષણનો નીયમ રજુ કરવા પ્રેરે છે. આવી જ કો’ક વાણી જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર જેવા વીજ્ઞાનના માણસને કુદરતમાં રહેલી સંવાદીતા નીહાળવા પ્રેરે છે , તો ક્યાં’ક ગૌતમ બુધ્ધને કેવળ વીવેક બુધ્ધી જગવવા પ્રોત્સાહીત કરે છે.
મારા મતે, માનવમનના વીકાસના પ્રારંભીક તબક્કામાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ સંઘર્ષ ન હતો. પ્રાગૈતીહાસીક કાળના એ અબુધ માનવીઓ, એ જંગલના જીવો સત્યની ઘણી વધુ નજીક હતા. અનેક જીવનસંઘર્ષોની વચ્ચે, ધર્મ અને વીજ્ઞાન બન્ને એમના જીવનમાં એક રુપ બનીને વીલસતા, પાંગરતા હતા. આવી જ પરીકલ્પના મારી નવલકથાના આજના પ્રકરણની પાર્શ્વભુમીમાં છે. એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.
પણ આપણી કહેવાતી સંસ્ક્રુતીએ આ પાયાની સંવાદીતાનો દાટ વાળી દીધો છે. ધર્મ અને વીજ્ઞાન એકમેકના વીરોધી બનીને બેઠા છે. શ્રધ્ધા અને તર્ક તાલબધ્ધ બનીને એક સાથે કેમ ન ચાલી શકે? શ્રધ્ધા શું અંધ થવા જ સર્જાઈ છે? તર્ક શું કેવળ ભોગવાદીપણાને ઉત્તેજન આપવા જ સર્જાયો છે? આના એક ઉકેલ તરીકે, વીવેકબુધ્ધી કેળવવાનો મત પણ પ્રવર્તે છે. પણ આ વીવેક માત્ર વીજ્ઞાનને જ મહત્વ આપે છે. શ્રધ્ધાનો છેદ જ ઉડાવી દે છે.
માનવ જાગરુકતા જે તબક્કે આવીને ઉભી છે, તેમાં આ સંવાદીતા ફરીથી ઉજાગર થશે; તો માનવજાત સર્વનાશ તરફની આંધળી દોટમાંથી કોઈક ઉજાસવાળો માર્ગ કાઢી શકશે. આ દોટ વીષેની એક પરીકલ્પના અહીં વાંચો . નહીં તો આ હજારો વર્ષોમાં થયેલો વીકાસ, એક વર્તુળ પુરું કરીને માનવજાતને એ પથ્થરયુગમાં ફરી પાછી લાવી દેશે.
———
આ વીચાર ધારાને ઉદ્દીપીત કરવા પાછળ મારા પુત્રવત ચીરાગ પટેલ્નો મ્રુત્યુ પરનો લેખ છે. એ વાંચવા અહીં ક્લીક કરો.
આશા રાખું કે, આ વીષય ઉપર વીશદ ચર્ચા થશે. મારા મતે આ આપણી પાયાની એક જરુરીયાત છે.
4 comments July 12, 2008
ગુજરાતી રેનેસાં – એક શક્યતા
” હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે?”
આ વાત વાંચી હું એક જુદા જ વીચારે ચઢી ગયો. આપણેય આ બાળક જેવા નથી? આપણને કેવા રુપકડા, નીર્દોશ, રુના ગાભલા જેવા અને વ્હાલસોયા લાગે તેવા બનાવી આપણા એ પરમ પીતાએ મોકલ્યા હતા? અને આપણે સમજદાર, સમ્પતીવાન, શક્તીશાળી થવાની દોડમાં કેવા બની ગયા? કેવા ખોવાઈ ગયા?
આપણા એ પરમ પીતાની આંતરડી કેવી કકળતી હશે? એને ઉંઘ પણ નહીં આવતી હોય.
ચાલો આપણે એની વ્યથાનું શમન કરીએ.
——————
મને આટલું સુઝ્યું – અંતરમાંથી આ પોકાર આવ્યો. અને અહીં લખું છું – ખાસ ગુજરાતી બ્લોગર મીત્રો અને વાચકો માટે.
મોટા ભાગના મારી જેમ નવરા ધુપ નથી; સાંસારીક, સામાજીક અને વ્યવસાયની જળોજથામાં બહુ જ વ્યસ્ત છે. એમ હોવા છતાં, એ બધા વીશ્વગુર્જરીની જે નીસ્વાર્થ સેવા કરે છે; તે બેમીસાલ છે. જે વાંચે છે અને બ્લોગરોને ઉત્સાહ મળે તેવા પ્રતીભાવ આપે છે; તે પણ આદરણીય છે.
પણ હવે ‘નીજાનંદ’ અને ‘ગમતાંનો ગુલાલ’ કરવાની આ સ્તુત્ય પ્રવ્રુત્તીથી એક ડગલું આગળ વધીએ તો? આપણે સૌ સામાન્ય જન કરતાં વધુ સુશીક્ષીત અને ઠીક ઠીક સમ્રુદ્ધ છીએ. શું આપણું એ નૈતીક ઉત્તરદાયીત્વ નથી કે, આપણા જીવનનો એક હીસ્સો સમાજને કાંઈક પ્રદાન કરવામાં વાપરીએ? ગાંધીયુગમાં આમ થયું હતું. પણ એ પ્રક્રીયા સ્થુળ પ્રગતીની દોટમાં લગભગ સ્થગીત થઈ ગઈ છે.
મોટા ભાગના બ્લોગરો સાહીત્યરસીક છે; જ્ઞાન અને નીર્દોશ ગમ્મતના ચાહક છે. પણ સમાજનો મોટો ભાગ આ બધાથી વીમુખ છે. માત્ર સમ્પત્તીની પાછળ આંધળી દોડમાં અને ધાર્મીક અંધશ્રદ્ધામાં વ્યસ્ત છે. આપણે ગુજરાતી સમાજની આ છાપ દુર કરવા, ‘ જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે.’ ત્યાં ત્યાં એક નવો રેનેસાં ( સાંસ્ક્રુતીક પુનર્જન્મ) પ્રગટાવી ન શકીએ?
આપણા વાડાઓ, આપણી માન્યતાઓ, આપણા પુરવગ્રહોને બાજુએ મુકીને આ જ્ઞાનયજ્ઞમાં જોડાઈએ તો કેવું ? આદરણીય શ્રી. મહેન્દ્ર મેઘાણીની વાંચન/ સમ્પાદન યાત્રા; ગાંધીનગરની શાળાની બાળકો માટેની વાંચન શીબીર; ડો. પ્રફુલ્લ અને ઈંદીરા શાહ ની લાયબ્રેરી પ્રવ્રુત્તી (સાવરકુંડલા); શ્રી. ગોપાલ પારેખની વાંચન ઉત્તેજન પ્રવ્રત્તી વી. પરથી પ્રેરણા લઈ આપણે આવું કે બીજું કાંઈ પ્રદાન કરીએ તો?
આ માટે આપ સૌ બ્લોગરો/ વાચકો પાસેથી ઉત્કટ ઉત્સાહવાળા પ્રતીભાવ અને સુચનો મળશે તો આનંદ થશે.
1 comment June 18, 2008
મધર ટેરેસા
ઈશ્વર હ્રદયના મૌનમાંથી બોલે છે; અને આપણે સાંભળીએ છીએ. જે વ્યક્તીને જીસસે પોતાના કાર્ય માટે પસંદ કરી હોય તેને ખબર છે કે, ઈશ્વરે કહ્યું છે,
” મેં તને તારા નામથી સાદ દીધો છે. તું મારી છે. તને પાણી ડુબાડી નહીં શકે. તને આગ બાળી નહીં શકે. હું તને દેશોના દેશો આપી દઈશ. તું મારે માટે અમુલ્ય છે. હું તને પ્રેમ કરું છું. એક મા કદાચ પોતાના બાળકને ભુલી જાય; પણ હું તને નહીં ભુલું. મેં તારું નામ મારી હથેળીમાં કોતરી રાખ્યું છે. “
10, સપ્ટેમ્બર- 1946
મધર ટેરેસાને વેકેશનના દીવસોમાં દાર્જીલીંગ જતાં ટ્રેનમાં સંભળાયેલ ‘અંતરની વાણી’
————————————————————————
આ વાણી સાંભળી મધરે શીક્ષણનું ક્ષેત્ર છોડી ગરીબોઓની સેવામાં પોતાનું જીવન સમર્પણ કરી દીધું. કલકત્તાની મીશન સ્કુલના પ્રીન્સીપાલની નોકરીની સાથે શાળાની પાછળ આવેલી ‘મોતી ઝીલ’ ની ગંદી ગોબરી ઝુંપડપટ્ટીમાં એકલે હાથે બાળકોને ભણાવવાનું શરુ કર્યું. આ સેવાયાત્રા મરણ સુધી ચાલુ રહી. ( 5, સપ્ટેમ્બર- 1997)
જે રણવાહીની પર ગાંધીજી અને જવાહરલાલ નહેરુની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી તેની ઉપર તેમની સ્મશાનયાત્રા કાઢીને તેમને અભુતપુર્વ સન્માન આપવામાં આવ્યું હતું. યુગોસ્લાવીયાના મેસેડોનીયા રાજ્યના સ્કોપ્યે ગામના સાવ સામાન્ય કુટુમ્બમાં 26, ઓગસ્ટ- 1910 માં જન્મેલ ‘એગ્નસ ગોન્ક્સા બોહાક્સીયુ ‘ ની, એક સાચી ‘મા’ની , આ અંતીમ યાત્રામાં નાત, જાત, ધર્મ, રંગ બધાંને બાજુએ મુકીને લાખો લોકો જોડાયાં હતાં.
આવું અભુતપુર્વ માન અને પ્રેમ મેળવનાર આ બાઈના કણ કણમાં જીસસની કરુણા સમાયેલી હતી. આખું જગત તેને માટે જીસસ હતું. ભારતનું એ સૌભાગ્ય છે કે, વીસમી સદીની આ મીરાંની સેવા અદનામાં અદના અને તરછોડાયેલા દરીદ્રનારાયણને મળી હતી. એની ‘અંતરની વાણી’ થી પ્રગટેલ કર્મયજ્ઞની પાવક જ્યોત આખી દુનીયામાં ફેલાઈ હતી. તેમના મરણ વખતે 4500 બહેનો, 500 ભાઈઓ, અને અગણીત દૈવીભાવવાળા કાર્યકરો અને સ્વયંસેવકો આ યજ્ઞકાર્યમાં જોડાયેલા હતા.
તેમના જીવન વીશે જાણવા અહીં ‘ક્લીક’ કરો. : - 1 - : - 2 -
ધર્મ વીશે મધરના વીચારો ( ખાસ વાંચવા લાયક )
Add comment May 9, 2008
મુર્તીપુજા
“2500 વર્શ જુના પવીત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલ પૌરાણીક દ્વારકાધીશ મંદીરનો રુ. સાડા સાત કરોડના ખર્ચે જીર્ણોધ્ધાર કરી તેની કાયાપલટ કરવાનું આયોજન ગુજરાત સરકારના પ્રવાસન વીભાગે કર્યું છે…… દરરોજ દસ હજાર ભાવીક યાત્રીકો આ ધામની મુલાકાત લે છે. જન્માશ્ટમી સહીતના ખાસ તહેવાર પ્રસંગોએ આ આંકડો લાખો ઉપર પહોંચે છે. આ મંદીરની 2007-2008માં રોકડ આવક રુ. ત્રણ કરોડ, પંદર લાખ હતી. આ ઉપરાંત સાડા છ લાખ જેટલાં સોનાચાંદીના દાગીનાની આવક પણ નોંધાઈ છે. મંદીરની આવકમાંથી 2 ટકા રકમ ચેરીટી કમીશ્નરની કચેરીમાં જાય છે; 15 ટકા દેવસ્થાન સમીતીને મળે છે અને બાકીના 83 ટકા હીસ્સાને પુજારી પરીવારો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.”
- એક સમાચાર ( ગુજરાત ટાઈમ્સ – ન્યુયોર્ક : 18 – એપ્રીલ – 2008 )
————————————————————————
આ છે મુર્તીપુજાની એક ઝલક. હું જન્મે માનવ પણ કુટુમ્બ અને સામાજીક સંસ્કારે હીન્દુ છું. મને જીવનની હીન્દુ ફીલસુફી માટે અનહદ માન છે. પણ મુર્તીપુજાનો આ નગ્ન ચીતાર મને કઠે છે.
આ માત્ર એક મંદીર કે હીન્દુ ધર્મ પુરતું મર્યાદીત નથી. દરેક પ્રજા, દરેક ધર્મ, દરેક જાતી, દરેક દેશમાં, કોઈ ને કોઈ પ્રકારે અને સ્વરુપે; કોઈક દેવ કે દેવદુત કે પથ્થર માટે આમ જ બનતું આવ્યું છે. આ ‘અંતરની વાણી’ ની બીભત્સ અભીવ્યક્તી છે. અંતરના, ગંગાજળ જેવા પવીત્ર ભાવનો ચીતરી પમાડે તેવો દેખાડો અને વ્યાપારીકરણ છે. સામાન્ય માણસ માટે એ પોતાની ધાર્મીકતાનું પ્રદર્શન છે; અનેક પુજારી કુટુમ્બો માટે એ આજીવીકાનું સાધન માત્ર છે. સરકાર માટે એ આવકનો સ્રોત છે. એ શહેર કે ગામના વેપારીઓ માટે રળવાનું એક બહાનું છે. આ એક ધર્મના ઓઠા હેઠળ વકરેલી, કેવળ આર્થીક અને સામાજીક પ્રવ્રુત્તી છે. એમાં ક્યાંય ભક્તી નજરે પડતી નથી.
હું મુર્તીપુજાનો વીરોધી નથી. અમારા એક જાણીતા સંબંધી કુટુમ્બમાં નસીબસંજોગે બાળક થયું ન હતું. બહેને બજારમાંથી એક લાલજી ખરીદ્યા હતા. એ લાલજીનું નાનકડું મંદીર, નાનકડું પારણું અને નાનકડી શય્યા પણ રાખ્યાં હતાં. પોતાનું જણેલું સંતાન હોય, એવા ભાવથી એ બહેન પોતાના એ લાડીલા લાલજીનું લાલન-પાલન કરતાં હતાં. લાલજીને જમાડે, રમાડે, ન્હવડાવે, વસ્ત્ર પહેરાવે, હીંચોળે, સુવાડે. એનાં ગીતો અને ભજનો ગાય. એની સાથે કાલી ઘેલી વાતો કરે. માતાના અધુરા રહેલા, અવ્યક્ત પ્રેમની એ અભીવ્યક્તી હતી. ઘરના એકાંત, ભાવભર્યા અને હુંફાળા વાતાવરણમાં પાંગરેલી એ ભાવ-નીતરતી, પ્રેમથી સભર ભક્તી હતી. મને એ બહેનની એ પુજા, એ વાત્સલ્ય, એ ભાવવીભોર અવસ્થા બહુ જ ગમતાં. કોઈ પણ ભક્તી કે પુજા કેવળ ‘અંતરની વાણી’ ની અભીવ્યક્તી હોવી ઘટે. આ બહેનની ભક્તી આવી અભીવ્યક્તીનું નીતાંત, સર્વાંગ સંપુર્ણ,પ્રશંસનીય સ્વરુપ હતું.
ભક્તી તો સાવ અંગત વાર્તાલાપ હોવો જોઈએ. આપણા હોવાપણાના પાયામાં રહેલા પરમ તત્વ સાથેનો સંવાદ; ભાશા કે કોઈ પણ માધ્યમ વીનાની કેવળ આંતરીક ગોઠડી. બહુ બહુ તો એ સ્વગત પ્રાર્થના હોઈ શકે કે; પેલાં બહેન જેવી સાવ અંગત, નીર્મળ, પ્રેમલક્ષણા ભક્તી.
પણ ઉપરોક્ત સમાચારમાં એ ભાવ, એ ભક્તી, એ પુજા બજારમાં બીકાઉ ચીજ બની ગયાં છે; એ મને કઠે છે.
જ્યારે માનવજાતે વૈચારીક ક્ષેત્રમાં મહાભીનીશ્ક્રમણ કહી શકાય તેવી સફરના અનેક જોજનો કાપી નાંખ્યા છે; જ્યારે જ્ઞાન અને જાગ્રુતીના અનેક સ્તરો ઉકેલાઈ ચુક્યા છે; જ્યારે અજ્ઞાનનો અંધકાર ક્યારનોય ભેદાઈ ચુક્યો છે – ત્યારે માનવજાતની પથ્થરયુગી પ્રાથમીકતાના આ આદીમ સ્વરુપનું વરવું પુનરાવર્તન મને કઠે છે.
અને ખાસ કરીને ભારત દેશમાં : જ્યાં કરોડો ભુખ્યાં બાળકો સુકા રોટલા માટે ટળવળે છે; જ્યાં ચાંગળું પાણી અને રોટલો ઘડવાનું બળતણ મેળવવા રોજ લાંબી સફર આદરવી પડે છે; જ્યાં કુદરતી હાજત માટે છેક ગામને છેવાડે પુગવું પડે છે; જ્યાં કોઈ અજાણી પ્રતીભા નાણાં, તક અને સવલતોના અભાવે પાંગરતાં પહેલાં જ કરમાઈ જાય છે; જ્યાં કેટલાંયને માટે આકાશની છત જ સહારો છે; જ્યાં ગરીબીના કારણે રુપ સરેઆમ વેચાય છે – એવી મારી જન્મભુમીમાં છપ્પન છપ્પન ભોગ ભોગવતો એ કાનુડો મને કઠે છે.
અને પેલાં બહેનની લાલજીસેવાનું ચીત્ર ભલે ભાવ અને ઉર્મીથી સભર હોય; પણ તેમણે પોતાની મુર્તીપુજાની માન્યતાને કોરાણે મુકીને કો’ક અનાથ, અબુધ, પ્રેમના ભુખ્યા, ધુલકા ફુલ, લાલજીની જીવંત સેવા અપનાવી હોત તો એ નીરર્થક પ્રવ્રુત્તી કેટલી સાર્થક બનત? તેમના જીવનનો ખાલીપો પણ કેટલો ભરાયો હોત?
21 comments May 2, 2008
અંતરના ઉંડાણની વાત – અખિલ સુતરીયા
મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે,
મને જે ગમ્યું તે તમને ગમે,
એનો અર્થ એ તો ન જ થાય કે -
તમને જે થાય એ મને થાય,
તમને જે લાગે એ મને લાગે,
તમને જે ગમે એ મને ગમે !!
પણ … ધારોકે … એવું થાય.. તો …
હું તમે બની જાઉ કે તમે હું બની જાઓ
- કે પછી :
હું, હું નથી અને તમે, તમે નથી
- તો પછી કોણ, કોણ છે એ જાણવાની કોઇ જરૂર ખરી ??
બે જણના અંતર વચ્ચે કોઇ અંતર રહે ખરું ?
- આ તો અંતરના ઉંડાણમાંથી આજની વાત.
- અખિલ સુતરીયા
તેમની વેબ સાઈટ ગુજરાતનું જીવન દર્શન કરાવતી વીડીયો વેબ સાઈટ
મારો અખિલભાઈ સાથે પરીચય હજુ નવો નવો જ છે; પણ આ વાત મને સ્પર્શી ગઈ. આમાં ‘હું’ કોણ છે; તે કળવું બહુ જ કઠણ છે!
મને તો આ ‘હું” અખિલભાઈ નહીં પણ પરમ તત્વ હોય તેમ લાગ્યું. અને માટે જ ‘ અંતરની વાણી ‘ માં ટપકાવી દીધું.
5 comments March 25, 2008
વીપશ્યના – અનુભવો : 3
અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.
અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.
આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.
ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.
‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘
આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.
બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ. પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.
બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે, આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.
પણ આપણા રામ તો પાછા હતા એના એ જ. બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.
=============================
- આવતા અંકે …. મારા વીચારો
10 comments February 15, 2008
વીપશ્યના – અનુભવો : 2
બીજી વખત મેં અમદાવાદમાં યોજાયેલી વીપશ્યનાની શીબીરમાં ભાગ લીધો હતો. આ વખતે કાંઈ નવું જાણવાનું ન હતું. આખી પ્રક્રીયાની મને સૈધ્ધાંતીક રીતે ખબર હતી. આથી મેં નક્કી કર્યું કે આ વખતે હું પુર્વતૈયારી કરીને જઈશ. એક અઠવાડીયાથી મારી જાણીતી પ્રાક્રુતીક ચીકીત્સા પધ્ધતી પ્રમાણે મેં ખાવા ઉપર સંયમ કરી દીધો હતો. ( આની વાત વળી કો’ક બીજી વાર!) શરીર એકદમ સ્ફુર્તીવાળું હતું. વળી અમદાવાદમાં જ જવાનું હોવાથી પ્રવાસનો કોઈ થાક વર્તાતો ન હતો.
પહેલા દીવસથી જ બરાબર અભ્યાસ શરુ કરી દીધો. ધ્યાન પણ ઠીક ઠીક થતું હતું. પણ માનવમનમાં બને છે, તેમ પહેલેથી જ ધારાપ્રવાહ શરુ થવાની ખેવના જાગવા માંડી! અને એ માળો તો મારાથી દુર અને દુર રહી, મને સાતતાળી જ રમાડતો રહ્યો! મોટાભાગની સાધનાઓમાં આપણા જેવા સામાન્ય માણસોને આ જ વીપત ભારે પડતી હોય છે. કાંઈક સીધ્ધી પ્રાપ્ત કરવાની, કોઈક ખજાનો મળી જાય તેવી ઈચ્છા હમ્મેશ જ્ઞાત કે અજ્ઞાત રીતે રહેતી જ હોય છે! મારા કીસ્સામાંય આમ જ હતું.
મને યાદ નથી પણ, ચોથા કે પાંચમા દીવસે દોઢ કલાકના એક ધ્યાન કાર્યક્રમમાં તે બરાબર મળી ગયો. સતત અને શરીરના જુદા જુદા ભાગોમાં તે આવે અને જાય. રોમાંચ જ રોમાંચ. અને એનો રાગ ન થાય તો આપણે સંસારી શાના? બસ આપણને તો બાપુ, એમ થયું કે આપણું બોધીકરણ હવે હાથવેંતમાં જ છે ! આ તાસ પછી તરત સવારનું જમવાનું હતું. મેં તો આ મહાન ઉપલબ્ધીના ઉત્સાહમાં જમવાનું સાવ જ ટાળ્યું. અતી ઉત્સાહમાં હવે એકદમ તેજ ચાલથી સાધનામાં આગળ વધવાનો દ્રઢ નીર્ધાર કર્યો.
અને રીસેસ પછી હું તો ભાઈસાબ! મચી જ પડ્યો. મસ્તકના છેક ઉપરથી પગના અંગુઠા સુધી સઘન વીપશ્યના ચાલુ કરી દીધી. પણ આ શું? ધારાપ્રવાહ તો બાજુએ રહ્યો, કોઈ સંવેદના જ ન અનુભવાય. અને પ્રબળ વેગથી ધસમસતા વીચારોનાં ઘોડાપુર મારા ચીત્તને ઘેરી વળ્યા. કશી એકાગ્રતા જ ન મળે. તે વખતે હું સાબરમતી પાવર સ્ટેશનના કોલયાર્ડના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી સંભાળતો હતો. બસ એના જ વીચારે ચઢી ગયો. બીજો કોઈ વીચાર જ ન આવે.
મેં હાથ ધોઈ લીધા. આમ કેમ થયું એના પણ નીરાશાજનક વીચારો આવવા માંડ્યા. રીસેસ પહેલાં જાગેલા અહંકાર માટે પરમ તત્વે મને શીક્ષા કરી, એવો અપરાધભાવ પણ જાગ્યો. જે હોય તે, અધવચથી ઉઠી હું તો શીબીરના ધ્યાનકક્ષમાંથી બહાર નીકળી ગયો. એક સ્વયંસેવકે પુછતાં મેં મારી મનોવ્યથા જણાવી.
તેમણે કહ્યું , “ આમ તો બને. પણ કોઈ અપરાધભાવ ન સેવો. આ બધી આંતરમનની પ્રક્રીયાઓ હોય છે. તેમાં આપણા જાગ્રુત મનના સંસ્કાર રોપી નવા પડળો ન બનાવો. જાઓ તમારા ઉતારાના સ્થાને જઈ વીપશ્યના કરો.”
હું તો નીરાશચીત્તે ત્યાં ગયો અને મારી પથારીમાં બેસીને ધ્યાન કરવા બેઠો. કાંઈ ફરક તો ન પડ્યો; પણ અમને કોલયાર્ડમાં મુંઝવતા ચાર પ્રશ્નો પર જ વીચારો આવવા માંડ્યા. અને એમાંથી કોઈક અકળ પ્રક્રીયાના ભાગ રુપે મને એ સમસ્યાઓના ઉકેલ સ્ફુરવા માંડ્યા. વીપશ્યના તો બાજુએ રહી ; હું તો અમારા કોલયાર્ડમાં કોલસાના ઢગલા વચ્ચે દટાઈ ગયો ! અને તમે નહીં માનો, મને કદી નહીં સુઝેલા ઉકેલો મળવા માંડ્યા. આ ભુલી ન જવાય તે માટે ચોરી છુપીથી મેં કાગળ અને બોલપેન શોધી કાઢ્યા અને ટુંકમાં તે નોંધી લીધા. આ બધા ઉકેલ વ્યવહારુ રીતે શક્ય ન હતા; પણ તેમાંના બે ઓછા ખર્ચવાળા ઉકેલ પાછા ગયા બાદ હું સફળતાથી અમલમાં મુકી શક્યો.
વીપશ્યનાના શાસ્ત્ર પ્રમાણે આ ઘટનાનું શું મહત્વ છે , તે તો મને ખબર નથી. પણ મારી જાતે જ મને એક નીશ્કર્શ મળ્યો :
જો સાધનાની નીશ્ફળતાની વચ્ચે કે, તેની આડપેદાશ તરીકે આવી સર્જનાત્મકતા મનમાં ઉભરી શકતી હોય તો, પુર્ણ સફળતા શું શું સીધ્ધીઓ પ્રાપ્ત ન કરાવી આપે? અને જો આપણે તેનાથી પણ વીચલીત થયા વીના, આપણા જગજુના સંસ્કારોથી મુક્તી મેળવવાના માર્ગમાં દ્રઢ રહીએ, તો બોધીસ્થીતી જરુર મેળવી શકાય. જીવતે જીવ નીર્વાણ જરુર મળે.
આ વીશ્વાસ મનમાં રોપાયો. અલબત્ત શીબીર પત્યા બાદ હું કામમાં એટલો તો દટાઈ ગયો કે, અભ્યાસ ચાલુ રાખી ન શક્યો.
- છેલ્લો ભાગ બે દીવસ પછી ….
3 comments February 13, 2008
વીપશ્યના : અનુભવો – 1
મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભવો જ વર્ણવું છું. આમ તો આવા અનુભવો કોઈને નહીં કહેવાની સુચના આપવામાં આવે છે. પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાયું નથી. આથી અહીં આવા અનુભવો ટુંકાણમાં વર્ણવ્યા છે. વીપશ્યનાના કોઈ કોપી રાઈટનો ભંગ આનાથી થતો હોય તેવું મારા ધ્યાનમાં નથી. છતાં વીપશ્યના સંસ્થાના કોઈ હોદ્દાધારી વ્યક્તી આ અંગે જણાવશે તો ઘટીત કરવામાં આવશે.
—————————
મારી પહેલી શીબીર કચ્છમાં માંડવી નજીક દુર્ગાપુર નામના એક નાનકડા સ્થળની શાળામાં હતી. મારા મોટાભાઈની સાથે હું તેમાં જોડાયો હતો. અમને આ અંગે કશી જ પુર્વ માહીતી ન હતી. આથી નવું જાણવાનું બહુ કુતુહલ હતું. પહેલા બે કે ત્રણ દીવસો તો માત્ર શ્વાસ અને ઉચ્છ્વાસ પર જ ધ્યાન રાખવાનું હતું . એ તો સરળ લાગ્યું. પણ વીચારો બંધ થતા જ ન હતા. બહુ મોડા સમજાયું કે મનની ઉપર કોઈ જબરદસ્તી કરવાની હોતી જ નથી. વીચારો તરફ કેવળ દુર્લક્ષ્ય જ સેવવા પ્રયત્ન કરવાનો. અને થયું પણ એમ જ. એમને કોઈ અગત્ય આપવાનું બંધ કર્યું અને ધીમે ધીમે તેમનો પ્રવાહ ઓસરતો ગયો.
ત્રીજા દીવસે આખા શરીરમાં વીપશ્યના કેમ કરવી તેનું માર્ગદર્શન મળ્યું. આ થોડું મુશ્કેલ લાગ્યું, કારણકે પહેલા દીવસે તો કોઈ ખાસ સંવેદના થતી જણાઈ જ નહીં. પણ એવી સુચના તરત જ મળી કે, “ કોઈ સંવેદના ન થાય તો તેનો શોક પણ ન કરો. શરીરના વીવીધ ભાગોમાં માત્ર મનથી અવલોકન જ કરો. આ ઘડીએ શું વાસ્તવીકતા છે, તેના માત્ર સાક્ષી જ થાઓ.” આમ આ શોક નીકળી ગયો. પછી ધીમે ધીમે એકાગ્રતા વધવા માંડી અને ક્યાંક ક્યાંક કંઈક સળવળાટ, સંચાર થવા માંડ્યો. આ કાંઈ મોટી ઉપલબ્ધી ન હતી; પણ આંતરમનની પ્રક્રીયાનો શરીર પર કદાચ પડઘો પડતો હોય એમ લાગવા માંડ્યું.
જેમ જેમ સાધનાના દીવસો આગળ વધતા ગયા, તેમ તેમ આ પ્રક્રીયાની સમજણ પડતી ગઈ. પણ બહુ જ કંટાળો તો આવતો જ હતો. ના પાડી હતી છતાં અમે છાને છપને વાત પણ કરી લેતા હતા! સાવ મુંગા રહેવાનોય અનુભવ લેવા જેવો હોય છે! કીશોરાવસ્થા માંડ વીતાવીને યુવાનીમાં હમણાં જ પ્રવેશેલા ઘણા જણ પણ આવ્યા હતા. તેમની દશા તો બહુ કરુણ હતી.
ખાનગીમાં આવા એક યુવાનને મેં પુછ્યું,” કેમ લાગે છે?”
તેનો શુધ્ધ કાઠીયાવાડી ભાશામાં ચીરસ્મરણીય જવાબ હતો,” હલવાણા ! “
પણ ધીરે ધીરે આ પ્રક્રીયાની ગંભીરતા સમજાતી ગઈ. ત્રીજા કે ચોથા દીવસે એકાગ્રતા આવવા માંડી. મારી ઉમ્મર એ વખતે લગભગ 48- 49 વરસની હશે. શરીરમાં કોઈ તકલીફ ન હતી. પીઠ પણ કદી દુખતી નહીં. પણ તે દીવસે પીઠની મધ્યમાં સખત દુખાવો ઉપડ્યો. એક પછી એક, વારાફરતી અમારા શીક્ષક અમને બોલાવીને અનુભુતીઓ અંગે પ્રુચ્છા કરે. મારો વારો આવ્યો, ત્યારે મેં આ તકલીફ જણાવી અને ભય પણ વ્યક્ત કર્યો કે, કોઈ ડોકટરને બતાવી શકાય, અથવા કોઈ સારવાર મળી શકે તો સારું.
તે હસીને બોલ્યા, “ આ સંવેદનાને નકારી તો જુઓ. મોટાભાગે તે જતી રહેશે. છતાં તકલીફ ચાલુ રહેશે તો કાંઈક કરીશું.”
ત્યાર પછીના ધ્યાનસત્રમાં મેં આ દુખાવો પણ અનીત્ય છે, એવો ભાવ સતત સેવ્યા કર્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે દસેક મીનીટ બાદ એ ગાયબ થઈ ગયો. આથી મને એ બરાબર સમજાઈ ગયું કે, “ કોઈ જુનો સંસ્કાર ગયો કે ન ગયો, તે તો રામ જાણે; પણ આ દુખાવો માનસીક જ હતો. કદાચ કંટાળાના ભાવની અભીવ્યક્તી હશે.” જે હોય તે, પણ બાકીના દીવસોમાં એ દુખાવો ફરી દેખાણો ન હતો!
પાંચમા કે છઠ્ઠા દીવસે એકાદ બે સેકન્ડ માટે ધારાપ્રવાહ પણ અનુભવાયો. આપણે તો મોટી મતા મળી ગઈ હોય, તેમ હરખાણા. આ પહેલી જ સુખદ સંવેદનાની અનુભુતી હતી. પણ ત્યાં જ માઈક પરથી સુચના સંભળાઈ,” ધારાપ્રવાહ અનુભવાય, તો તેને પણ અનીત્ય ગણી, શરીરના બીજા ભાગોમાં થતી સંવેદના તરફ ધ્યાન કેન્દ્રીત કરો.” અને એ ધારાપ્રવાહ તો અદ્રશ્ય થઈ ગયો. પછી તો એ આવે ને જાય. પણ એની તરફ પણ દુર્લક્ષ્ય સેવવાની ટેવ પડવા માંડી.
છેલ્લા દીવસે, મૌન તોડવાનો વીધી બહુ આનંદદાયી લાગ્યો ; છુટકારા થવાનો છે તેનો હરખ તો હતોજ; પણ એ મંગળમૈત્રીમીલનનો ભાવ બહુ જ સરસ અનુભવાયો પણ ખરો. બધાંને મળવાનો આવો આનંદ પહેલાં કદી અનુભવાયો ન હતો. પણ બોલતાં બહુ જ તકલીફ પડી! મુંગા રહેવાનીય જાણે ટેવ પડી ગઈ હતી.
સારાંશમાં આ પહેલા અનુભવ પરથી આ ધ્યાન પ્રક્રીયામાં થોડો ઘણો વીશ્વાસ બેઠો.
- વધુ આવતા અંકે
4 comments February 11, 2008