Archive for February 15th, 2008
વીપશ્યના – અનુભવો : 3
અમદાવાદમાં બીજી શીબીરમાં ભાગ લીધા પછી બે એક વર્શનો સમય વીતી ગયો. વળી પાછું આ અભ્યાસનું પુનરાવર્તન કરવાનું મન થયું. આથી ગુજરાતના વીપશ્યનાના સૌથી મોટા અને કાયમી કેન્દ્ર એવા ‘ બાડા’ ખાતે મેં વીપશ્યનાની ત્રીજી શીબીરમાં ભાગ લીધો. કચ્છમાં માંડવીથી આગળ દરીયાકીનારે આવેલું આ રમણીય સ્થળ છે. અહીં કાયમી ધોરણે સાધના માટેની સવલતો ઉભી કરવામાં આવી છે. સમુહ સાધના ખંડ ઉપરાંત ઈગતપુરીમાં છે તેવી એકાંતમાં સાધના કરવાની કુટીરો પણ છે.
અહીં પણ હું માનસીક અને શારીરીક પુર્વ તૈયારી કરીને ગયો હતો. આગળના બે અનુભવો કરતાં અહીં સાધના વધારે વ્યવસ્થીત ચાલી. અલબત્ત રોલર કોસ્ટરની જેમ એકાગ્રતાનો આલેખ પણ ઉંચો નીચો જતો હતો. પણ હવે તેનાથી વીચલીત ન થવાની સમતા અને પુખ્તતા આવી હતી. આમ કરતાં કરતાં એક જ દીવસ બાકી રહ્યો હતો. ખાસ કોઈ ઘટના કે નવી અનુભુતીની અપેક્ષા પણ ન હતી.
આવા સમયે ધ્યાનના એક તાસમાં ટેપ પરથી સાધનાની આગલી મંજીલોની ઝલક અપાઈ રહી હતી. આ પથમાં આગળ વધેલા સાધકો માત્ર શરીરના બાહ્ય અવયવો જ નહીં પણ શરીરને સોંસરું કોરીને છેક અંદર થતી સંવેદનાઓનું પ્રેક્ષણ પણ કરી શકતા હોય છે, તેવી વાત સાંભળવા મળી. મેં આમ કરવા સભાન પ્રયત્ન કરી જોયો, ‘પણ અંદર સ્નાયુઓમાં, હાડકાંમાં, ફેફસામાં, આંતરડામાં શું થઈ રહ્યું છે, તે તો શી રીતે ખબર પડે? ત્યાં ક્યાં ચેતા તંત્ર ફેલાયેલું હોય છે?’ આવા વીચાર મનમાં ચાલી રહ્યા હતા.
ત્યાં જ અચાનક, કોઈ આયોજન કે સભાન વીચાર વીના મસ્તીશ્કમાં એક પ્રાર્થના જાગી.
‘ બોધી જાગો! કરુણા જાગો! અંતરતમમાં સ્પંદન જાગો!‘
આ રટણ સતત અને આપોઆપ થતું જ રહ્યું. જાણે કે મારી અંદરથી કોઈ બીજું જણ આવા આદેશો આપી રહ્યું હતું. એવો અણસાર લાગી રહ્યો હતો. મારી જાત ઉપર, મારા વીચારો ઉપર મારું કોઈ નીયંત્રણ જાણે રહ્યું જ ન હતું. હું સાવ સમર્પીત બનીને આ વહેણમાં ખેંચાતો હોઉં, તેમ લાગવા માંડ્યું. અને એકાએક કોઈક અજાણી ચેતનાનો ધોધ ધસમસતો મારા માથાની ટોચ પરથી આખા શરીરમાં ઉતરી આવ્યો. આ ધારામાં તરબોળ મારા શરીરના અણુએ અણુમાં બુદબુદા જ બુદબુદા ખદબદી રહ્યા હોય, આખું શરીર સાવ તરલ બની ગયું હોય, તેવી એક સાવ નવી જ અનુભુતી થઈ. આ ધોધ ઉપરથી નીચે, નીચેથી ઉપર,આગળથી પાછળ, એક બાજુએથી બીજી બાજુએ, તીવ્ર વેગથી, ગતી કરી રહ્યો હતો. ધારાપ્રવાહોનો જાણે કે એક સાગર ઉમટ્યો હતો.
બહુ જ સારું લાગ્યું. આ સ્થીતી કાયમ રહે તેવી કામના પણ ન રહી. બસ હું આ અસીમ આનંદમાં નહાતો જ રહ્યો, ભીંજાતો જ રહ્યો. અને ત્યાં સાધનાના એ તાસની સમાપ્તીનો સંદેશો આવ્યો. લાઈટો ચાલુ થઈ ગઈ, અને મારું ધ્યાન કમને તુટ્યું. હું ઉભો થયો. પણ આ શું ? એ પ્રવાહ, એ અનુભુતી કોઈ સાધના વગર, કે કોઈ પ્રેક્ષણ વીના સભાન સ્થીતીમાં પણ ચાલુ જ રહ્યાં. મારા ડગલે ને ડગલે ઝણઝણાટી થતી હતી; જાણે કે પગની નીચે અનેક સ્પ્રીંગો લાગી ગઈ હતી. સાધનાખંડની બહાર આવ્યો. થોડેક દુર આવેલા, પણ દેખાતા ન હતા, એવા દરીયાકીનારેથી મંદ મંદ પવનની સતત લહેરખી વાઈ રહી હતી. એનો સ્પર્શ મારા હાથ અને ચહેરા ઉપર એક જુદો જ રોમાંચ પેદા કરી રહ્યો હતો. આ સ્થીતી લગભગ પંદરેક મીનીટ ચાલુ રહી. અને પછી ધીમે ધીમે તે ઓસરી ગઈ. એ પણ અનીત્ય હતી. તરત જ મનમાં આ અનીત્યભાવ જાગી ગયો. અને સામાન્ય વીચારોની વણઝાર પાછી ચાલુ થઈ ગઈ. પણ ચેતનાના એક નવા પ્રદેશની મુલાકાત આકસ્મીક યોજાઈ ગઈ હતી.
બીજા દીવસે મંગલમૈત્રીમીલનના કાર્યક્રમમાં આ ભાવ થોડીક જ માત્રામાં ફરીથી જાગ્યો. આંખો એ મૈત્રીભાવથી સજળ બની ગઈ. પછી તો સામાન્ય વ્યવહારમાં હું પરોવાઈ ગયો, પણ એક વીશ્વાસ થઈ ગયો કે, આપણને ખબર ન હોય તેવા ચેતનાના અનેક સ્તરો હોઈ શકે છે.
પણ આપણા રામ તો પાછા હતા એના એ જ. બસ એક ચમકારો મળી ગયો હતો એટલું જ.
=============================
- આવતા અંકે …. મારા વીચારો
10 comments February 15, 2008