વીપશ્યના – અનુભવો : 2
February 13, 2008
બીજી વખત મેં અમદાવાદમાં યોજાયેલી વીપશ્યનાની શીબીરમાં ભાગ લીધો હતો. આ વખતે કાંઈ નવું જાણવાનું ન હતું. આખી પ્રક્રીયાની મને સૈધ્ધાંતીક રીતે ખબર હતી. આથી મેં નક્કી કર્યું કે આ વખતે હું પુર્વતૈયારી કરીને જઈશ. એક અઠવાડીયાથી મારી જાણીતી પ્રાક્રુતીક ચીકીત્સા પધ્ધતી પ્રમાણે મેં ખાવા ઉપર સંયમ કરી દીધો હતો. ( આની વાત વળી કો’ક બીજી વાર!) શરીર એકદમ સ્ફુર્તીવાળું હતું. વળી અમદાવાદમાં જ જવાનું હોવાથી પ્રવાસનો કોઈ થાક વર્તાતો ન હતો.
પહેલા દીવસથી જ બરાબર અભ્યાસ શરુ કરી દીધો. ધ્યાન પણ ઠીક ઠીક થતું હતું. પણ માનવમનમાં બને છે, તેમ પહેલેથી જ ધારાપ્રવાહ શરુ થવાની ખેવના જાગવા માંડી! અને એ માળો તો મારાથી દુર અને દુર રહી, મને સાતતાળી જ રમાડતો રહ્યો! મોટાભાગની સાધનાઓમાં આપણા જેવા સામાન્ય માણસોને આ જ વીપત ભારે પડતી હોય છે. કાંઈક સીધ્ધી પ્રાપ્ત કરવાની, કોઈક ખજાનો મળી જાય તેવી ઈચ્છા હમ્મેશ જ્ઞાત કે અજ્ઞાત રીતે રહેતી જ હોય છે! મારા કીસ્સામાંય આમ જ હતું.
મને યાદ નથી પણ, ચોથા કે પાંચમા દીવસે દોઢ કલાકના એક ધ્યાન કાર્યક્રમમાં તે બરાબર મળી ગયો. સતત અને શરીરના જુદા જુદા ભાગોમાં તે આવે અને જાય. રોમાંચ જ રોમાંચ. અને એનો રાગ ન થાય તો આપણે સંસારી શાના? બસ આપણને તો બાપુ, એમ થયું કે આપણું બોધીકરણ હવે હાથવેંતમાં જ છે ! આ તાસ પછી તરત સવારનું જમવાનું હતું. મેં તો આ મહાન ઉપલબ્ધીના ઉત્સાહમાં જમવાનું સાવ જ ટાળ્યું. અતી ઉત્સાહમાં હવે એકદમ તેજ ચાલથી સાધનામાં આગળ વધવાનો દ્રઢ નીર્ધાર કર્યો.
અને રીસેસ પછી હું તો ભાઈસાબ! મચી જ પડ્યો. મસ્તકના છેક ઉપરથી પગના અંગુઠા સુધી સઘન વીપશ્યના ચાલુ કરી દીધી. પણ આ શું? ધારાપ્રવાહ તો બાજુએ રહ્યો, કોઈ સંવેદના જ ન અનુભવાય. અને પ્રબળ વેગથી ધસમસતા વીચારોનાં ઘોડાપુર મારા ચીત્તને ઘેરી વળ્યા. કશી એકાગ્રતા જ ન મળે. તે વખતે હું સાબરમતી પાવર સ્ટેશનના કોલયાર્ડના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી સંભાળતો હતો. બસ એના જ વીચારે ચઢી ગયો. બીજો કોઈ વીચાર જ ન આવે.
મેં હાથ ધોઈ લીધા. આમ કેમ થયું એના પણ નીરાશાજનક વીચારો આવવા માંડ્યા. રીસેસ પહેલાં જાગેલા અહંકાર માટે પરમ તત્વે મને શીક્ષા કરી, એવો અપરાધભાવ પણ જાગ્યો. જે હોય તે, અધવચથી ઉઠી હું તો શીબીરના ધ્યાનકક્ષમાંથી બહાર નીકળી ગયો. એક સ્વયંસેવકે પુછતાં મેં મારી મનોવ્યથા જણાવી.
તેમણે કહ્યું , “ આમ તો બને. પણ કોઈ અપરાધભાવ ન સેવો. આ બધી આંતરમનની પ્રક્રીયાઓ હોય છે. તેમાં આપણા જાગ્રુત મનના સંસ્કાર રોપી નવા પડળો ન બનાવો. જાઓ તમારા ઉતારાના સ્થાને જઈ વીપશ્યના કરો.”
હું તો નીરાશચીત્તે ત્યાં ગયો અને મારી પથારીમાં બેસીને ધ્યાન કરવા બેઠો. કાંઈ ફરક તો ન પડ્યો; પણ અમને કોલયાર્ડમાં મુંઝવતા ચાર પ્રશ્નો પર જ વીચારો આવવા માંડ્યા. અને એમાંથી કોઈક અકળ પ્રક્રીયાના ભાગ રુપે મને એ સમસ્યાઓના ઉકેલ સ્ફુરવા માંડ્યા. વીપશ્યના તો બાજુએ રહી ; હું તો અમારા કોલયાર્ડમાં કોલસાના ઢગલા વચ્ચે દટાઈ ગયો ! અને તમે નહીં માનો, મને કદી નહીં સુઝેલા ઉકેલો મળવા માંડ્યા. આ ભુલી ન જવાય તે માટે ચોરી છુપીથી મેં કાગળ અને બોલપેન શોધી કાઢ્યા અને ટુંકમાં તે નોંધી લીધા. આ બધા ઉકેલ વ્યવહારુ રીતે શક્ય ન હતા; પણ તેમાંના બે ઓછા ખર્ચવાળા ઉકેલ પાછા ગયા બાદ હું સફળતાથી અમલમાં મુકી શક્યો.
વીપશ્યનાના શાસ્ત્ર પ્રમાણે આ ઘટનાનું શું મહત્વ છે , તે તો મને ખબર નથી. પણ મારી જાતે જ મને એક નીશ્કર્શ મળ્યો :
જો સાધનાની નીશ્ફળતાની વચ્ચે કે, તેની આડપેદાશ તરીકે આવી સર્જનાત્મકતા મનમાં ઉભરી શકતી હોય તો, પુર્ણ સફળતા શું શું સીધ્ધીઓ પ્રાપ્ત ન કરાવી આપે? અને જો આપણે તેનાથી પણ વીચલીત થયા વીના, આપણા જગજુના સંસ્કારોથી મુક્તી મેળવવાના માર્ગમાં દ્રઢ રહીએ, તો બોધીસ્થીતી જરુર મેળવી શકાય. જીવતે જીવ નીર્વાણ જરુર મળે.
આ વીશ્વાસ મનમાં રોપાયો. અલબત્ત શીબીર પત્યા બાદ હું કામમાં એટલો તો દટાઈ ગયો કે, અભ્યાસ ચાલુ રાખી ન શક્યો.
- છેલ્લો ભાગ બે દીવસ પછી ….
Entry Filed under: સુરેશ જાની. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
nilam doshi | February 15, 2008 at 9:56 pm
વિશ્વાસ..શ્રધ્ધા આમા ખૂબ ભાગ ભજવતા હોય છે. અંતરમા આસ્થા હોવી ખૂબ જરૂરી છે. બરાબર ને દાદા ?
2.
નીલા | February 20, 2008 at 10:23 pm
નીલમબેનની વાત સાચ્ચી છે.
3.
vetdrmmp | June 16, 2008 at 7:42 am
mauna, vrat ane dharmik niyamo vaignaanik aadharit chhe. je aapana man ane tan maate uttam chhe.