Archive for February 11th, 2008

વીપશ્યના : અનુભવો – 1

      મેં વીપશ્યનાની ત્રણ શીબીરોમાં ભાગ લીધો હતો. અહીં તેનું વીગતે વર્ણન નહીં, પણ માત્ર વીશીશ્ઠ અનુભવો જ વર્ણવું છું. આમ તો આવા અનુભવો કોઈને નહીં કહેવાની સુચના આપવામાં આવે છે. પણ મને તે માટે કોઈ સબળ કારણ જણાયું નથી. આથી અહીં આવા અનુભવો ટુંકાણમાં વર્ણવ્યા છે. વીપશ્યનાના કોઈ કોપી રાઈટનો ભંગ આનાથી થતો હોય તેવું મારા ધ્યાનમાં નથી. છતાં વીપશ્યના સંસ્થાના કોઈ હોદ્દાધારી વ્યક્તી આ અંગે જણાવશે તો ઘટીત કરવામાં આવશે.

—————————

       મારી પહેલી શીબીર કચ્છમાં માંડવી નજીક દુર્ગાપુર નામના એક નાનકડા સ્થળની શાળામાં હતી. મારા મોટાભાઈની સાથે હું તેમાં જોડાયો હતો. અમને આ અંગે કશી જ પુર્વ માહીતી ન હતી. આથી નવું જાણવાનું બહુ કુતુહલ હતું. પહેલા બે કે ત્રણ દીવસો તો માત્ર શ્વાસ અને ઉચ્છ્વાસ પર જ ધ્યાન રાખવાનું હતું . એ તો સરળ લાગ્યું. પણ વીચારો બંધ થતા જ ન હતા. બહુ મોડા સમજાયું કે મનની ઉપર કોઈ જબરદસ્તી કરવાની હોતી જ નથી. વીચારો તરફ કેવળ દુર્લક્ષ્ય જ સેવવા પ્રયત્ન કરવાનો. અને થયું પણ એમ જ. એમને કોઈ અગત્ય આપવાનું બંધ કર્યું અને ધીમે ધીમે તેમનો પ્રવાહ ઓસરતો ગયો.

      ત્રીજા દીવસે આખા શરીરમાં વીપશ્યના કેમ કરવી તેનું માર્ગદર્શન મળ્યું. આ થોડું મુશ્કેલ લાગ્યું, કારણકે પહેલા દીવસે તો કોઈ ખાસ સંવેદના થતી જણાઈ જ નહીં. પણ એવી સુચના તરત જ મળી કે, “ કોઈ સંવેદના ન થાય તો તેનો શોક પણ ન કરો. શરીરના વીવીધ ભાગોમાં માત્ર મનથી અવલોકન જ કરો. આ ઘડીએ શું વાસ્તવીકતા છે, તેના માત્ર સાક્ષી જ થાઓ.” આમ આ શોક નીકળી ગયો. પછી ધીમે ધીમે એકાગ્રતા વધવા માંડી અને ક્યાંક ક્યાંક કંઈક સળવળાટ, સંચાર થવા માંડ્યો. આ કાંઈ મોટી ઉપલબ્ધી ન હતી; પણ આંતરમનની પ્રક્રીયાનો શરીર પર કદાચ પડઘો પડતો હોય એમ લાગવા માંડ્યું.

      જેમ જેમ સાધનાના દીવસો આગળ વધતા ગયા, તેમ તેમ આ પ્રક્રીયાની સમજણ પડતી ગઈ. પણ બહુ જ કંટાળો તો આવતો જ હતો. ના પાડી હતી છતાં અમે છાને છપને વાત પણ કરી લેતા હતા! સાવ મુંગા રહેવાનોય અનુભવ લેવા જેવો હોય છે!  કીશોરાવસ્થા માંડ વીતાવીને યુવાનીમાં હમણાં જ પ્રવેશેલા ઘણા જણ પણ આવ્યા હતા. તેમની દશા તો બહુ કરુણ હતી.

     ખાનગીમાં આવા એક યુવાનને મેં પુછ્યું,” કેમ લાગે છે?”

    તેનો શુધ્ધ કાઠીયાવાડી ભાશામાં ચીરસ્મરણીય જવાબ હતો,” હલવાણા ! “

    પણ ધીરે ધીરે આ પ્રક્રીયાની ગંભીરતા સમજાતી ગઈ. ત્રીજા કે ચોથા દીવસે એકાગ્રતા આવવા માંડી. મારી ઉમ્મર એ વખતે લગભગ 48- 49 વરસની હશે. શરીરમાં કોઈ તકલીફ ન હતી. પીઠ પણ કદી દુખતી નહીં. પણ તે દીવસે પીઠની મધ્યમાં સખત દુખાવો ઉપડ્યો. એક પછી એક, વારાફરતી અમારા શીક્ષક અમને બોલાવીને અનુભુતીઓ અંગે પ્રુચ્છા કરે. મારો વારો આવ્યો, ત્યારે મેં આ તકલીફ જણાવી અને ભય પણ વ્યક્ત કર્યો કે, કોઈ ડોકટરને બતાવી શકાય, અથવા કોઈ સારવાર મળી શકે તો સારું.

    તે હસીને બોલ્યા, “ આ સંવેદનાને નકારી તો જુઓ. મોટાભાગે તે જતી રહેશે. છતાં તકલીફ ચાલુ રહેશે તો કાંઈક કરીશું.”

     ત્યાર પછીના ધ્યાનસત્રમાં મેં આ દુખાવો પણ અનીત્ય છે, એવો ભાવ સતત સેવ્યા કર્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે દસેક મીનીટ બાદ એ ગાયબ થઈ ગયો. આથી મને એ બરાબર સમજાઈ ગયું કે, “ કોઈ જુનો સંસ્કાર ગયો કે ન ગયો, તે તો રામ જાણે; પણ આ દુખાવો માનસીક જ હતો. કદાચ કંટાળાના ભાવની અભીવ્યક્તી હશે.”  જે હોય તે, પણ બાકીના દીવસોમાં એ દુખાવો ફરી દેખાણો ન હતો!

     પાંચમા કે છઠ્ઠા દીવસે એકાદ બે સેકન્ડ માટે ધારાપ્રવાહ પણ અનુભવાયો. આપણે તો મોટી મતા મળી ગઈ હોય, તેમ હરખાણા. આ પહેલી જ સુખદ સંવેદનાની અનુભુતી હતી. પણ ત્યાં જ માઈક પરથી સુચના સંભળાઈ,” ધારાપ્રવાહ અનુભવાય, તો તેને પણ અનીત્ય ગણી, શરીરના બીજા ભાગોમાં થતી સંવેદના તરફ ધ્યાન કેન્દ્રીત કરો.” અને એ ધારાપ્રવાહ તો અદ્રશ્ય થઈ ગયો. પછી તો એ આવે ને જાય. પણ એની તરફ પણ દુર્લક્ષ્ય સેવવાની ટેવ પડવા માંડી.

      છેલ્લા દીવસે, મૌન તોડવાનો વીધી બહુ આનંદદાયી લાગ્યો ; છુટકારા થવાનો છે તેનો હરખ તો હતોજ; પણ એ મંગળમૈત્રીમીલનનો ભાવ બહુ જ સરસ અનુભવાયો પણ ખરો. બધાંને મળવાનો આવો આનંદ પહેલાં કદી અનુભવાયો ન હતો. પણ બોલતાં બહુ જ તકલીફ પડી! મુંગા રહેવાનીય જાણે ટેવ પડી ગઈ હતી.

     સારાંશમાં આ પહેલા અનુભવ પરથી આ ધ્યાન પ્રક્રીયામાં થોડો ઘણો વીશ્વાસ બેઠો.

   -   વધુ આવતા અંકે

4 comments February 11, 2008


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

મહિનાવાર ટપાલ

Meta

a