વીપશ્યના

February 8, 2008

      વીપશ્યના કે વીપસ્સણાનું નામ આવે અને ગૌતમ બુધ્ધ યાદ આવી જાય. તે જમાનામાં ભારતીય સમાજ એક બાજુ હીન્દુ ધર્મના હીંસાત્મક કર્મકાંડો અને મંદીરોમાં પ્રવર્તેલા ભ્રશ્ટાચારોથી ખદબદતો હતો; અને બીજી બાજુ વર્ધમાન મહાવીરે પ્રચલીત કરેલા અને અત્યંત કઠોર શીસ્ત માંગી લેતા જૈન ધર્મના આકરા નીયમપાલનથી મુંઝાતો હતો. ત્યારે ગૌતમ બુધ્ધે મધ્યમ માર્ગ સુચવ્યો હતો. કાળક્રમે તે ભારતમાંથી તો લુપ્ત થઈ ગયો પણ પુર્વ એશીયાના દેશોમાં બહુ પ્રચાર પામ્યો.

     બુધ્ધના સીધ્ધાંતોમાં વ્યવહારમાં પંચશીલ અને પધ્ધતીમાં વીપશ્યના પ્રધાન સ્થાને છે. અહીં વીપશ્યના પધ્ધતી વીશે ટુંકમાં માહીતી આપું છું. બુધ્ધની પણ આ પોતાની આગવી  શોધ ન હતી. આ તો વેદકાળમાં સુચવેલી એક રીત હતી. પણ તેમણે તેને સાધનાના સાધન તરીકે અપનાવી, અને તેને શાસ્ત્રીય રુપ આપ્યું. પોતાના જીવનમાં તેનો સફળ ઉપયોગ કરીને પોતે બોધીજ્ઞાન અને મુક્તી પામ્યા;  સીધ્ધાર્થમાંથી ગૌતમ બુધ્ધ – શાક્યમુની બન્યા.

      આ ધ્યાનની એક રીત છે. પણ બીજા પ્રકારોની જેમ કોઈ ઈશ્ટદેવ, ઈશ્વર કે પરમ તત્વને સ્મરવામાં નથી આવતા. બુધ્ધનું દર્શન એ રીતે નાસ્તીક દર્શન છે. આની પાછળ મુળ સીધ્ધાંત એ છે કે, આપણું આંતર મન હજારો વર્શોની જીવનની અનુભુતીઓ અને કર્મોના આધારે ઘડાયેલું હોય છે. જ્યારે આ મનને રાગ કે દ્વેશ થાય છે, ત્યારે તે તેની અભીવ્યક્તી કરવા પ્રયત્ન કરે છે. પણ તેની પાસે આ માટે કોઈ માધ્યમ હોતું નથી. બાહ્ય મનની જેમ વીચાર પણ નહીં. આથી તે શરીરના અંગોમાં સંવેદના મારફત આવી અભીવ્યક્તી કરે છે.

      આથી વીપશ્યના કરતી વખતે માત્ર આ ક્ષણે શરીરના વીવીધ અવયવોમાં શી સંવેદના ઉભરી રહી છે તેનું કેવળ નીરીક્ષણ કરવામાં આવે છે. ક્યાંક ખુજલી આવતી હોય; ક્યાંક ભારેપણું લાગતું હોય; ક્યાંક રુંવાડું ફરકતું હોય તેમ લાગતું હોય; આંખ ફરકતી લાગતી હોય;  આંતરીક ઠંડક કે ગરમી લાગતાં હોય. આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

        શરુઆતમાં એકાગ્રતા માટે નાકમાં જઈ રહેલ અને બહાર આવતા શ્વાસ પર નજર રાખવામાં આવે છે. પછી ધીરે ધીરે માથાના ઉપરના ભાગથી શરુ કરી છેક પગના તળીયાં સુધી, દરેક અવયવમાં શી સંવેદના વ્યક્ત થઈ રહી છે, તેનું નીરીક્ષણ કરવામાં આવે છે. વીચારો આવે તે પ્રત્યે સહજભાવ કેળવવામાં આવે છે. જે પણ વીચારો આવે તેમને આવવા દેવાના, પણ તરત ધ્યાન તો શરીરમાં થતી આવી સંવેદના પ્રત્યે જ કેળવવાનું. શરુઆતમાં આવું કાંઈ નજરે ન ચઢે.  પણ શ્વાસ પર તો ધ્યાન રાખી જ શકાય, માટે ત્યાંથી શરુઆત કરવામાં આવે છે.

        એક બે દીવસ આ મહાવરો પડ્યા પછી, ધીરે ધીરે નાનકડી સંવેદનાઓ નજરે ચઢતી જાય છે. આવી દરેક સંવેદના અનુભવાય ત્યારે મનથી સભાન રીતે વીચારવાનું હોય છે કે, આ સંવેદના ક્ષણીક છે ; શાશ્વત નથી; અને તે જતી રહેવાની છે. અને આપણે આમ અનુભવવા પણ માંડીએ છીએ, કારણ કે, આ સંવેદનાઓ બદલાતી જ રહેતી હોય છે. આ ક્ષણે ક્યાંક દબાણ કે ખુજલી લાગે, પણ થોડી વાર પછી તે તે જગાએ તે ગાયબ થઈ ગયેલી આપણે અનુભવી શકીએ છીએ.

       આમ સંવેદના તરફ જાગરુકતા અને તેના તરફ અનીત્યભાવ બન્ને ધીમે ધીમે કેળવાતા જાય છે. બુધ્ધ દર્શન એમ કહે છે કે, આ સંવેદનાઓ જે ગુહ્ય આંતરમનના સંસ્કારને કારણે થઈ હોય તે સંસ્કાર આવો અનીત્યભાવ કેળવવાથી નશ્ટ થાય છે. જેમ જેમ આપણા માનસમાં એકઠા થયેલા સંસ્કારો દુર થતા જાય છે, તેમ તેમ ધ્યાન વધારે ગાઢ થતું જાય છે. સંવેદનાઓ હવે ઉભરવા માંડે છે , અથવા આપણે તેમના પ્રત્યે સજાગ બની ગયેલા હોઈએ છીએ. પછી તો આ એક ચેઈન રીએકશન બની જાય છે. જ્યાં કશી અનુભુતી પહેલાં ન થઈ હોય, ત્યાં પણ કોઈને કોઈ સંવેદના ઉભરતી આપણે અનુભવી શકીએ છીએ.

         આની ચરમસીમારુપે, એક એવી સ્થીતીનું નીર્માણ થાય છે કે, આખા શરીરમાં ઈંચે ઈંચ જગ્યાએ સંવેદનાનો પ્રવાહ વહેતો હોય તેવી સુખદ લાગણી થવા માંડે છે. વીપશ્યનાના સંદર્ભમાં આને ‘ ધારાપ્રવાહ’  કહે છે. આ બહુ સુખદ લાગણી હોય છે અને છતાં આ પણ ‘અનીત્ય’ છે એવો વીચારભાવ કેળવવામાં આવે છે.

          સતત અનીત્યભાવનો આ વીચાર આંતરમનને વધુ ને વધુ સંવેદનશીલ બનાવતું જાય છે. સંવેદનાઓનો ધોધ છુટતો હોય તેવી અનુભુતી થવા માંડે છે. અને જમાનાજુના, આપણા જીવનમાં ઉભા થયેલા,  આપણા વડીલો/ જનકો પાસેથી વારસામાં મળેલા; અરે ! ઉત્ક્રાંતીકાળથી આપણા હોવાપણામાં ઘર કરી ગયેલા સંસ્કારો ઓગળવા માંડે છે. આંતર મન વધુ અને વધુ આવરણ રહીત થવા માંડે છે. આંતરીક પ્રજ્ઞા જાગવા માંડે છે. 

       ‘બુધ્ધ’ થવાની પ્રક્રીયાની આ શરુઆત છે.

      વીપશ્યનાની શીબીરની શીસ્ત આ પ્રક્રીયાને ઉત્તેજન મળે તે રીતે ગોઠવેલી હોય છે. દસ દીવસની શીબીરમાં કોઈની પણ સાથે વાતચીત બંધ. કોઈ પણ વાંચન, સંગીત શ્રવણ, ભજન, કીર્તન, નામસ્મરણ, જાપ કશું જ નહીં કરવાનું. કોઈ દવા પણ નહીં લેવાની. સવારે સાદો નાસ્તો, બપોરે સાદું જમણ અને સાંજે ફળાહારની વ્યવસ્થા કરેલી હોય છે. છેલ્લા દીવસે મૌન તોડતી વખતે સમસ્ત જગત તરફ મંગળભાવનો, મૈત્રીભાવનો સંદેશ ફેલાવવામાં આવે છે. એ દીવસે સાધકોના મનમાં ફેલાતો કેવળ અને નીર્મળ આનંદભાવ અવર્ણનીય હોય છે.

     આ શીબીરોની બહુ જ પ્રશંસનીય બાબત એ હોય છે કે, કદી કોઈ રકમની માંગણી કરવામાં આવતી હોતી નથી. છેલ્લા દીવસે કોઈની ઈચ્છા થાય તો દાન આપી શકે, તે માટે માત્ર સુચન કરવામાં આવે છે.પણ કોઈ જાતનું દબાણ કરવામાં આવતું નથી. કોઈ પણ ધર્મ, રંગ કે જાતીની વ્યક્તી આમાં જોડાઈ શકે છે. પણ કોઈ પણ ધર્મનો કે ઈશ્વરના નામનો આધાર લેવાની મનાઈ હોય છે. કેવળ વર્તમાનમાં આપણા શરીરમાં આ જ ક્ષણે શું બની રહ્યું છે , તે પ્રત્યેની સભાનતા અને તે પ્રત્યે અનીત્યભાવની કેળવણી વીપશ્યનાના હાર્દમાં હોય છે.

    સતત અભ્યાસથી  જેમ જેમ આપણી સાધના પુખ્ત થતી જાય છે; તેમ તેમ ઘટનાઓ તરફ આપણે ઉદાસીન થતા જઈએ છીએ. પ્રતીક્રીયા કરવાનો આપણો અભીગમ બદલાતો જાય છે.  સમતા કેળવાતી જાય છે. રાગ-દ્વેશ ની માત્રા ધીરે ધીરે ઓછી થતી જાય છે. જીવતાં જીવ નીર્વાણ તરફ, મુક્તી તરફ આપણી ગતી થતી થાય છે. સમશ્ટી તરફ મીત્રતા અને મંગળ ભાવ કેળવતા જાય છે.      અલબત્ત , સાધનાના સતત અભ્યાસ અને સામાન્ય જીવન દરમ્યાન પણ આવી સ્થીતી પ્રાપ્ત કરવા માટેની તૈયારી તો હોવાં જ જોઈએ.

 -   વીશેશ માહીતી   -   1   -     :   -   2   -     :   -   3   -      :   -   4   -

-   મારા પોતાના અનુભવો આવતા અંકે…

—————————————————————————

હે, લોકો !
હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”

–ગૌતમ બુદ્ધ

Entry Filed under: ગદ્ય/ અછાંદસ, બૌધ્ધ, સુરેશ જાની. .

4 Comments Add your own

  • 1. Chirag Patel  |  February 8, 2008 at 11:24 am

    દાદા, ઘણાં વખતથી વીપસ્યના શીખવાની ઇચ્છા હતી એ પુરી થઈ. આભાર!

    તમારા અનુભવો પણ જણાવશો.

    Reply
  • 2. Dilip Patel  |  February 10, 2008 at 1:00 am

    સુરેશકાકા,
    આપે આધ્યાત્મિક આહાર માટેની વિશિષ્ટ વાનગી શી વીપસ્યના વિશેની સૈધ્ધાંતિક માહિતીની સુંદર અને સરળ રજુઆત કરીને એને સુપાચ્ય બનાવી દીધી છે. આપના અનુભવને જાણવા ને માણવાના ઇંતેજારમાં.
    દિલીપ પટેલ

    Reply
  • 3. નીલા  |  February 20, 2008 at 10:16 pm

    ધ્યાનનો એક પ્રકાર એટલે વિપશ્યના. ધ્યાનના શીબીર ભર્યા છે [અણ વિપશ્યનાના નથી ભર્યા. આટલી સુંદર માહિતી આપવા બદલ આભાર.

    Reply
  • 4. Vipsyana- Pujya Goyankaji « તુલસીદલ  |  March 25, 2008 at 6:17 pm

    [...] વીપશ્યના [...]

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…

દિવસવાર ટપાલ

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

મહિનાવાર ટપાલ

Meta

a