Archive for January 15th, 2007
સપનાનું સૌંદર્ય – સુરેશ દલાલ, Suresh Dalal
જીવનમાં કોઈક સવાર એવી ઊગે કે જ્યારે તમને એમ લાગે કે આપણામાંથી ઘણી બધી વસ્તુઓ ખંખેરી નાખવાની હોય છે. વસ્તુઓ આપણને વળગતી નથી પણ આપણે વસ્તુઓને વળગેલા છીએ. અમસ્તા પણ કોઈ દિવસ તમારા ઘરમાં નજર નાખો. ઝાઝા ભાગે એમાં કામની કરતાં નકામી વસ્તુઓ વધારે હોય છે. આપણા શરીરની ભીતર પણ એક ઘર છે. એ ઘરને તમે આત્મા કહો કે ચૈતન્ય કહો, નામ ગમે તે આપો. આપણી ભીતર કેટલી બધી ગ્રંથિઓ છે, કેટલા બધા પૂર્વગ્રહો છે. પાર વિનાના પક્ષપાતો છે. મામકા અને પાંડવોના ભેદ છે. મારું-તારું એમ કહીને આપણે ભાગલા પાડ્યા છે.
તમારે ઘણી બધી વ્યક્તિઓથી કે ઘણી બધી વસ્તુઓથી છૂટા પડવું છે. જેને તમે રેશમના ધાગા બાંધતા હો એ ધાગાઓ તમારી આસપાસ લોખંડની સાંકળ થઈ ગયા હોય. આ લોખંડની સાંકળ તમારે તોડવી છે. તમારી આસપાસના તો તમારો વિરોધ કરશે જ, પણ તમારું અમુક આદતોથી ટેવાયેલું મન પણ પોતાનો પૂરતો વિરોધ કરશે. તમારી અંદરની વાતને સાંભળશે નહીં, પણ જીવનમાં આવી ક્ષણ આવે ત્યારે ખુદ તમારા મનને પણ ચૂપ કરીને તમારે તમારો અવાજ સાંભળવો જોઈએ. માણસે જીવનનો વળાંક પોતે જ શોધી લેવાનો હોય છે. દરિયો ભલે ગમે એટલો અફાટ હોય પણ આપણે જ આપણી નાની નૌકાને સહારે તરવાનું છે એવું એક ફ્રેન્ચ કવિ કહે છે. પરિવર્તન માટે માણસ પાસે પોતામાં ભરોસો જોઈએ. પ્રહલાદ પારેખ કહે છે એમ જેને ખુદનો ભરોસો નથી હોતો એને માટે ખુદાનો ભરોસો પણ કામિયાબ નથી નીવડતો. આપણે આપણાં સ્વપ્નોને દુસ્વપ્નોમાં ફેરવવાનાં નથી પણ આપણી ભીતર આપણાં સપનાનાં સૌંદર્યનું મેઘધનુષ રચવાનું છે.
- સુરેશ દલાલ
12 જાન્યુઆરી- 2207 ના ‘રીડ ગુજરાતી’ માંથી ( આખો લેખ વાંચો )
Add comment January 15, 2007