प्रभाते करदर्शनम् – સુરેશ જાની
October 20, 2006
कराग्रे बसते लक्ष्मी , करमूले सरस्वती !
करमध्ये तु गोविन्दः, प्रभाते करदर्शनम् !
[ હાથના આગલા ભાગમાં લક્ષ્મી રહે છે અને હાથના મૂળમાં સરસ્વતી. જ્યારે હાથના મધ્ય ભાગમાં ગોવિંદ રહે છે. માટે સવારે ઊઠતાં જ હાથનું દર્શન કરવું જોઇએ. ]
આ લાક્ષણિક હિંદુ વિધિ છે. આપણે આની પાછળનો વિચાર અને ભાવ સમજીએ.
આપણા શરીરમાં મન પછી સૌથી વિવિધ જાતનાં તેમજ અનેક કામ કરવા શક્તિમાન હોય તો તે આપણા હાથ છે. બીજા બધા અંગોનું પોતાનું બહુ જ સીમિત કાર્યક્ષેત્ર હોય છે.
આપણી મોટાભાગની પ્રવૃત્તિઓ આંગળીઓથી થાય છે. અને જે પ્રવૃત્તિઓ આંગળીઓ કરે છે તેનાથી વસ્તુઓ આપણે બનાવીએ છીએ. આમાંથી જ સઘળી સમ્પત્તિનું સર્જન થાય છે. માટે હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી રહેલી છે.
આ બધી આંગળીઓના મૂળમાં ચેતાતંત્ર આવેલું છે. મગજ જે સંદેશા મોકલે છે તે પ્રમાણે હાથ અને આંગળીઓ કામ કરે છે. માટે આ પ્રવૃત્તિઓના મૂળમાં મગજનું જ્ઞાન રહેલું છે. માટે હાથના મૂળમાં સરસ્વતી કહી છે.
પણ આ બધાયના કેન્દ્રમાં આપણી ચેતના – આપણો પ્રાણ છે. તે ન હોય તો આ કશું જ જીવિત ન રહે. આથી મધ્યમાં ગોવિંદ – ઇશ્વર – પરમ તત્વ રહેલું છે.
જ્યારે સવારે ઊઠીને કર- દર્શન કરીએ ત્યારે આ વિચાર અને ભાવને હંમેશાં દોહરાવીએ અને તે પરમ તત્વનો આભાર માનીએ કે તેણે આવું સુંદર સાધન આપણને આપ્યું છે. આખો દિવસ આવા સરસ હથિયારનો ઉપયોગ આપણે પ્રભુના કાર્ય માટે જ કરીએ.
- સુરેશ જાની
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, શ્લોક, સુરેશ જાની, હિન્દુ દર્શન. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed